સૌરભ શાહ લિખિત "પ્રિય જિંદગી" નું ૧૭મું પ્રકરણ
"એકાંત સાધનાને રાક્ષસો કે દાનવો દિવાય કોઇ ખલેલ પહોંચાડતું નથી"
તમે રિક્ષામાં કે ટેક્સીમાં બેઠા હો અને શાંતચિત્તે કશુંક વિચારી લેવાનું આયોજન કરતા હો ત્યાં અચાનક ડ્રાયવર એના કેસેટ પ્લેયર પર તીણા અવાજે ગાતી ગાયકાનું કાનફાડ ગીત મૂકે તો એને બંધ કરાવવાનો તમને હક્ક છે કે નહીં. તમે ઓફિસના કલાકો બાદ ઘરમાં છોકરાઓને વાર્તા કહી રહ્યા હો ત્યારે જેનો ફોન આવતી કાલે ઓફિસમાં આવે તો કશું ખાટુંમોળું થઇ જવાનું નથી એવી વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળવાનો તમને હક્ક છે કે નહીં. તમે તમારું એકાંત માણવા હિલ સ્ટેશન પર ગયા હો અને અચાનક કોઇ પરિચિત કુટુંબ તમને મળી જાય અને કહે, ’ચાલો, સારું થયું. કાલથી સાથે જ ફરીશું. એકલા એકલા કંટાળી ગયાં હતાં’ ત્યારે એ પરિચિતને એટલું કહેવાનો તમને હક્ક ખરો કે નહીં કે માફ કરજો, હું મારા નિર્ધારિત પ્લાન મુજબ જ અહીં રહેવા માગું છું.
પ્રાઇવસીની કન્સેપ્ટ ભારત માટે નવી નથી. ઋષિઓના જમાનામાં એકાંતસાધના થતી હતી અને એમને રાક્ષસો કે દાનવો સિવાય કોઇ ખલેલ પહોંચાડતું નહોતું. સમાજ વિશાળ થતો ગયો, નગરો મહાનગરોમાં પલટાવા માંડ્યા અને માણસનું અંગત, એનું એકાંત ખોવાઇ ગયું. પછી સતત કોલાહલ અને ભીડ વચ્ચે રહેવાની ટેવ પડી ગઇ. તમે એવા કેટલાય માણસો જોયા હશે જેઓ ઘરમાં એકલા પડે કે તરત, જોવું હોય કે ન જોવું હોય, ટીવી ખોલીને બેસી જાય. એકાંત એ દુર્લભ ચીજ છે અને એને માણવાનું હોય એ વાત બહુ ઓછા લોકો સમજે છે. નાતાલના તહેવારમાં ખ્રિસ્તીઓની સૌથી બિરદાવવા જેવી વાત એ લાગે કે તેઓ સમૂહમાં ભેગા મળીને ઘોંઘાટભર્યો જલસો કરી શકે છે; સાથોસાથ એટલા જ સમૂહમાં ભેગા થઇને દરેકનું એકાંત જળવાય એ રીતે શાંત સંગીતમાં બોલ ડાન્સ પણ કરી શકે છે. ચર્ચાની તો વાત જ જુદી. સેંકડો ખ્રિસ્તીઓ ભેગા થયા હોય છેતાં એ ભીડમાં શિસ્ત હોય અને દરેક વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક ઊભા રહીને કે બેન્ચ પર બેસીને ઈશ્વરનું સ્મરણ કરી શકે. આની સામે નાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર જુઓ, ત્રીસ સેકન્ડ પણ કોઇના ધક્કા ખાધા વિના તમે ઈશ્વરમાં મન પરોવી શકો નહીં.
વચ્ચે એક મિત્ર સાથે શ્રીનાથજીની વાત થતી હતી. તેઓ પણ નિયમિત ત્યાં જાય છે, મેં એમને સૂચવ્યું ક્યારેક શ્રીનાથજી જતાં-આવતાં રાણકપુર જજો. ખૂબ સુંદર જગ્યા છે. જૈન મંદિરનું સ્થાપત્ય માણવા જેવું તો છે જ ઉપરાંત ત્યાં પહોંચીને એના વિશાળ પરિસરમાં અરવલ્લીની તળેટીની શાંતિનો જે અનુભવ થાય છે તે એક લહાવો છે. મિત્ર કહે કે એક વખત અમે રાણકપુર ગયા હતા પણ ત્યાં બહું એકલું એકલું લાગે, એવી શાંતિમાં મઝા ન આવે !
મહાનગરના ઘોંઘાટની મઝાથી ટેવાઇ ગયા પછી કેટલાક લોકો શાંતિ જિરવી શકતા નથી. તેઓ સતત તાણગ્રસ્ત રહે, એમની પણછ હંમેશા તંગ રહે, તો જ એમને લાગે કે પોતે મહાનગરના ધોરણ મુજબનું જીવી રહ્યા છે. વ્યક્તિની પ્રાઇવસી છિનવી લેવા માટે સમાજ હંમેશા તત્પર હોય છે. લગ્ન આનું સૌથી મોટું ઉદાહરણ છે. જે બે વ્યક્તિ પરણી રહી છે એમની અંગતતાને કોઇ પૂછતું નથી. લગ્નની આખીય વિધિ દરમ્યાન, વરઘોડાથી માંડીને કન્યા વિદાય સુધીની વિધિ દરમ્યાન, ઘણી બધી ક્ષણો એવી આવે છે જ્યારે બે વ્યક્તિઓને આજુબાજુનું ધમાલભર્યુ વાતાવરણ ભૂલીને એ ક્ષણોની ગંભીરતા વિશે વિચારવાની તક મળવી જોઇએ, પણ એવું વાતાવરણ વર-કન્યાને કોઇ આપી શકતું નથી. પ્રાઇવસીનો મતલબ અહીં ફિઝિકલ એકાન્ત એવો નથી. એ તો એમને મળવાનું જ છે રાત્રે, અને અ પછીની ઘણી બધી રાત્રીઓએ, માનસિક એકાન્તની વાત છે.
કુટુંબમાં પણ પરિવારના સભ્યોની પ્રાઇવસીની આમન્યા રાખવાનો રિવાજ બહુ ઓછી જગ્યાએ મળે. નાનું બાળક એની એમાં આનંદમગ્ન થઇને એકલું રમતું હોય તો પપ્પા-મમ્મી પૂછશે: આવ બેટા, એકલો એકલો કેમ રમે છે ? અને પછી બાળકની સાથે રમવા લાગશે, એમ વિચારીને કે બિચારું એકલું રમતું હતું. તમારી સૌથી નજીકની વ્યક્તિઓ પણ એકલી બેઠી હોય ત્યારે ક્યારેય પૂછતા નહીં કે શું વિચારતા હતા ? એમને પોતાનું એકાંત સાચવી રાખવાનો હક્ક છે. શક્ય છે એ તમારી અણગમતી બાજુઓ વિશે વિચારતી હોય. અથવા તો તમારા પર ખૂબ બધું વહાલ કેવી રીતે વરસાવી દેવું એ વિશેનું પ્લાનિંગ કરતી હોય. તમારે શા માટે પરાણે એમના વિચારો જાણવાની કોશિશ કરવી જોઇએ ?
એક ફેન્ટસી છે: બિજાના વિચારો જાણવાની શક્તિ ભગવાન આપે તો ?
દરેક જણ એમ જ કહેશે કે ભગવાન એવી શક્તિ માત્ર મને આપે.
No comments:
Post a Comment